Friday 12 April 2024

શું વર્તમાન શિક્ષણ પાસે તમામ સમસ્યાઓનો ઉકેલ છે કે શિક્ષણ ખુદ સમસ્યાઓ ઊભી કરી રહ્યું છે ???


શું વર્તમાન શિક્ષણ પાસે તમામ સમસ્યાઓનો ઉકેલ છે કે શિક્ષણ ખુદ સમસ્યાઓ ઊભી કરી રહ્યું છે ???
 
Indian Education System Needs Serious Reforms

 

     શિક્ષકો વિદ્યાર્થીઓમાં રહેલી સંભાવનાને શોધી નથી રહ્યા અને માતા-પિતા પોતાના સંતાનોની ક્ષમતાઓને સમજી નથી રહ્યા. અત્યારની શિક્ષણપદ્ધતિના આ સૌથી મોટા સત્યો છે. પણ આ સત્યો કોઈને સ્વીકારવાં નથી. કારણકે સત્યથી દૂર ભાગવાની આપણાં સૌની જૂની આદત છે. આપણી શિક્ષણપદ્ધતી દરેક વિદ્યાર્થીઓને એક જ લાકડીથી હાંકી રહી છે. આજકાલના વર્ગ-ખંડોની સૌથી મોટી સમસ્યા છે, જે બાળકોને ભણવું નથી. તેઓને જ્ઞાન સાથે કોઈ લેવાદેવા જ નથી. તેઓને મન શાળા કે કોલેજ એટલે ટાઇમપાસ કરવાનું શ્રેસ્ઠ સ્થળ... અને આવા વિદ્યાર્થીઑ સાથે માથાકૂટ વધુ થવાને લીધે વર્ગ-શિક્ષણ વધુ ને વધુ ડિસ્ટર્બ થઈ રહ્યું છે. વળી આવા વિદ્યાર્થીઓ પણ જાજા છે.

  દરજીના દીકરાને દરજી નથી થવું, ખેડૂતના સંતાનો ખેતીથી ભાગી રહ્યા છે, મજૂરી કરવી એ તો જાણે અપરાધ થઈ ગયો હોય એવું લાગી રહ્યું છે. બધાને એવું લાગી રહ્યું છે કે ભણીને માત્ર વાઇટ કોલર જોબ જ મેળવી શકાય છે. ભણીને પણ ખેડૂત કે દરજી કે પ્લંબર બની શકાય છે. એવી વિચારધારા તો જાણે કે આઉટ ઓફ ડેટ થઈ ગઈ છે. બધા એક જ દીશા તરફ દોડી રહ્યા છે, જેને લીધે આજે આપણને અમુક ક્ષેત્રોમાં કામ કરનારા લોકો જ નથી મળી રહ્યા. નથી સારા કલાકારો મળી રહ્યા કે નથી સારા રમતવીરો મળી રહ્યા!

   શાળાના એક વર્ગમાં ઓછામાં ઓછા 40/45 બાળકો હોય છે. એટલે કે એક વર્ગમાં 40/45 વ્યક્તિત્વો હોય છે. અને વળી બધા જ એકબીજાથી અલગ અલગ! કોઈને રમતમાં રસ છે, તો કોઈને કળામાં તો વળી કોઈને સર્જનાત્મક પ્રવૃતિઓમાં જોડાવું ગમે છે. કોઈને પ્રયોગો કરવા ગમે છે, તો કોઈને કવિતાઓ વાંચવી અને લખવી ગમતી હોય છે. દરેક બાળકના રસનો વિષય અલગ અલગ હોય છે, પણ આપણી શિક્ષણ-પ્રથા તો બધા માટે એક જ સરખી રહે છે.

     આજે બાળકો બહુ નાની ઉંમરે સ્કૂલના પગથિયાં ચડતાં થઈ ગયા છે.  સાત વર્ષ સુધી તે પેહલા આસપાસના પર્યાવરણમાથી જે કઈ નેચરલી શીખતું હતું, એ ઉંમર તેની ફરજિયાત શિક્ષણમાં ખર્ચાઈ જાય છે. મનોવિજ્ઞાન મુજબ 0થી4 વર્ષ દરમિયાન બાળક સૌથી વધુ ગ્રાસપિંગ કરતું હોય છે, અને એ તેની એ ઉંમર જ શાળાની ચાર દિવાલો વચ્ચે ભીંસાઈ જાય છે. તેઓને ગમે છે, કઈક બીજું અને તેઓ કરી રહ્યા છે કઈક બીજું! નાના બાળકોની પતંગિયા જેવી કલરફૂલ દુનિયાને આપણે યુનિફોર્મ પહેરાવીને રંગહીન કરી દિધી છે.  તેઓને આપણે ખીલવાનો મોકો જ નથી આપી રહ્યા. એક રૂટિન મુજબ જે કઈ શીખવાનું હોય તે બધુ તેઓ પર થોપી રહ્યા છીએ. સ્ટેન્ડિંગ લાઇન, સ્લીપિંગ લાઇન વચ્ચે તેઓની દુનિયા ભુલભુલામણીમાં ખોવાઈ ગઈ છે. 

  જે રીતે એક માળી પોતાના બાગના દરેક ફૂલને, દરેક છોડને સિંચે છે, એમ જ આપણે પણ બાળકોને સિંચવાના હોય છે, પણ આપણે તો તેઓને વહેલી તકે સ્કૂલોને સોંપીને એ જવાબદારીમાથી છટકવા માંગીએ છીએ. નહી ભણે તો શું કરીશ? એવું કહીને  જે માતા-પિતા પોતાના બાળકોને જીંદગીની રેસમાં દોડાવી રહ્યા છે, તેઓને ખબર નથી કે તેઓ બાળકોમાં રહેલી નિર્દોષતા અને નિખાલસતાને ખતમ કરી રહ્યા છે. તે એક ખીલવા મથતા ફૂલને ફરજિયાત શો-પીસ બનાવીને દુનિયા સામે રજૂ કરી રહ્યા છે. તેઓ પોતાના જ સંતાનોમાં રહેલી સંભાવનાઓને ખતમ કરી રહ્યા છે. તેઓમાં રહેલી મૌલિકતા અને સર્જનાત્મકતાને કેદ કરી રહ્યા છે.

   મોટા ભાગના માતા-પિતા પોતાના બાળકોને એક એવા બજારને હવાલે સોંપી રહ્યા છે, જ્યાં માત્ર ખણખણતા સિક્કાઓ જ ચાલતા હોય છે. આજે કોઈ સારી સંસ્થાની ફી જાણીશું તો ખ્યાલ આવશે કે આપણાં સૌની આવકનો એક બહુ મોટો હિસ્સો શિક્ષણ પાછળ ખર્ચાઈ રહ્યો છે. અને એ પણ બિનજરૂરી રીતે! શિક્ષણ વાસ્તવિકતાથી પ્રકાશવર્ષ જેટલું દૂર થઈ ગયું છે. જે કાઇપણ આપણે પુસ્તકોમાથી બાળકોને શીખવાડી રહ્યા છીએ, તે એટલું બધુ આઉટડેટેડ થઈ ગયું છે કે એમાં બાળકોને આગળના શિક્ષણ પ્રત્યે પ્રેરણા આપી શકાય એવું કશું છે જ નહી. નથી પુસ્તકો અપડેટ થતાં કે નથી અપડેટ થતાં શિક્ષકો! સરકારને આંકડાઓ સાથે અને ખાનગી શાળાઓને ફી સાથે જ માત્ર લેવાદેવા છે.

  મોટા ભાગની ખાનગી શાળાઓ વિદ્યાર્થીઓનું સાચું મૂલ્યાંકન કરતી જ નથી. ઢગલો માર્કસ આપી દેવા અને દસમા ધોરણ સુધી પાસ કરી દેવા. પછી એ બાળક જ્યારે દસમામાં આવે, ત્યારે ખબર પડે કે આને તો વાંચતાં પણ નથી આવડતું! અને એથી પણ વધુ એ જ વિદ્યાર્થી જ્યારે વાસ્તવિક જીવનમાં પગ મૂકે છે, તો તેને ખુદને એવું લાગે છે કે હું ભણ્યો હતો, એવું તો અહી કશું છે જ નહી! 

  ભણીશું એટલે  તમામ સમસ્યાઓનો ઉકેલ મળી જશે. એવું આપણને લાગતું હતું, પણ હવે શિક્ષણ જ સૌથી મોટી સમસ્યા બની રહી ગયું છે.

 

Tuesday 9 April 2024

કુદરતે લાગણીઓના રંગો થકી સજાવેલી રંગોળી એટલે ‘જિંદગી’

 કુદરતે લાગણીઓના રંગો થકી સજાવેલી રંગોળી એટલે જિંદગી

 

Holi 2024 Date, History and Significance in India

જિંદગીમાં નવા રંગો ઉમેરતા રહેવા જરૂરી છે. હકીકત તો એ છે કે વિવિધતા અને નવીનતા એ જિંદગીના એ રંગો છે, જેના થકી જિંદગીનું ચિત્ર એકદમ કલરફૂલ બની જતું હોય છે. આપણાં સૌના જીવનમાં રંગોનું મહત્વ અનેરું હોય છે. દરેકનો એક ફેવરિટ રંગ હોય છે. અને મનોવિજ્ઞાન એમ કહે છે કે એ ફેવરિટ રંગને આધારે લોકોનું વ્યક્તિત્વ જાણી શકાય છે. વ્યક્તિને ઓળખી શકાય છે! અને સાથે સાથે મનોવિજ્ઞાન એમ પણ કે છે કે પુરુષો કરતાં સ્ત્રીઓ રંગોની પસંદગી બાબતે વધુ પર્ટીક્યુલર હોય છે!

  નાના હતા ત્યારે વિજ્ઞાનમા પ્રાથમિક અને ગૌણ રંગો ભણવામાં આવતા. પ્રાથમિક રંગોને ભેગા કરીએ એટલે ગૌણ રંગો બને! સફેદ રંગ પર પ્રકાશ રીફલેક્ટ કરીએ એટલે અનેક રંગોમાં તેનું વિભાજન થાય અને એ બધા રંગોને ભેગા કરીએ એટલે સફેદ રંગ પાછો મળે! (જિંદગીમાં જેઓ સુખ અને દૂ:ખ બંનેના રંગોને સ્વીકારે છે, તેઓની જિંદગી પણ અનેક રંગોમાં વિભાજિત થઈને મેઘધનુષ જેવી બની રહે છે.) તો વળી  મેઘધનુષના રંગોને જાનીવાલીપીનારા સૂત્ર બનાવી યાદ રાખતા. અને વર્ષાઋતુમાં જ્યારે મેઘધનુષ જોવા મળી જતું, તો ઉત્સવ જેવો આનંદ મનમાં છવાઇ જતો!

  પ્રેમનો રંગ સૌથી પાકો હોય છે, એના વગર જિંદગીનું ચિત્ર સાવ ફિક્કું લાગવાનુ. સંબંધો છે, તો હ્રદય ધબકતું રહેવાનુ! કાર્ડિયોગ્રામની લાઈનો સીધી ના થઈ જાય એ માટે, મિત્રતાના રંગો જિંદગીમાં ઉમેરતા રહીએ. એક એવો રંગ જેના થકી જિંદગી કાયમ વિસ્તરતી રહે છે, વિકસતી રહે છે, એ લાગણીઓનો રંગ! આ રંગો જિંદગીના પ્રાથમિક રંગો છે. જેના થકી જિંદગીમાં બીજા રંગો ઉમેરાતા રહે છે. માટે બીજા કોઈ બિનજરૂરી, આંખો આંજી નાખે તેવા રંગોની પાછળ દોડીને આ રંગોને અવગણવા નહી.....

  સફેદ અને કાળો બંને રંગહીન કલર છે. આપણે ત્યાં તો દરેક પ્રસંગ માટે, દરેક ધર્મ માટે, દરેકના ભગવાન માટે અલગ અલગ રંગ નક્કી થયેલો છે. શુભ પ્રસંગોના રંગ અલગ, અશુભ પ્રસંગોના રંગ અલગ!. અને એ રંગ પસંદગી પાછળ વૈજ્ઞાનિક સત્ય પણ છે! જો કે કાળા રંગને આપણે બિચારાને ખરાબ પ્રસંગો સાથે જોડી દીધો છે, પણ યાદ રહે ભૂતકાળમાં જિંદગી ‘white & black’ જ હતી, એ તો હવે એ રંગીન બની છે. જિંદગીમાં કાળા રંગ રૂપી અંધકાર છે, તો આપણે પ્રકાશના મહત્વને સમજી શકીએ છીએ.

  કુદરત તો આપણી પાસે અનેક રંગો લઈને આવે છે, બસ આપણને એ રંગો જિંદગીના કેનવાસ પર પાથરતા આવડવા જોઈએ. અને સૌથી અગત્યનું એ રંગોને માણવા માટેનો સમય આપણી પાસે હોવો જોઈએ. એ રોજ સવારે ઊગતા સૂર્ય સાથે રંગોની ગરિમા લઈને આવે છે, પક્ષીઓના કલરવનો રંગ એમાં ઉમેરાતો રહે છે, વૃક્ષોનો રંગ, ફૂલોના રંગ, ફળોના રંગ, વગેરે વગેરે રંગો સાથે એ આપણાં કેનવાસને રંગીન બનાવવાની તકો આપે છે. અને જ્યારે સાંજે ઢળતો સુરજ તેના આછા આછા રંગો થકી આપણને નવી સવાર માટે આવજો કહે છે, ત્યારે આપણને આખા દિવસના થાકના રંગો સમજાવે છે, કે જિંદગીમાં શાંતિના રંગો પણ જરૂરી છે!

   સાંજે  ઘરની અગાશી પરથી આકાશ સામે નજર મંડાય જાય, તો ખબર પડે કે આકાશ કેટલા કેટલા રંગો લઈને આપણને મળવા આવે છે. આકાશ જેટલું રંગીન કોઈ નથી. આપણે માણસો પણ ગઝબ છીએ, ઘરની અગાશી પરથી દેખાતા આવા અનુપમ સૌંદર્યને છોડીને આપણે પૈસા ખર્ચીને એ જ રંગો જોવા દૂર જતાં હોઈએ છીએ. એમાં પણ જો કોઈ સાંજે સંધ્યા ખીલી હોય તો એ રંગો થકી જીંદગીની એ ક્ષણો અનલિમિટેડ આનંદથી ભરાઈ જતી હોય છે.

  નાના હોય ત્યારે નિખાલસતાનો રંગ, તરુણ હોઈએ ત્યારે હોર્મોન્સના રંગો, યુવાનીમાં જોશના રંગો અને વૃદ્ધત્વ આવે ત્યારે સમજણના રંગો આપણી પર ચડતા રહે છે. અને એટલે જ કદાચ માણસ ઉંમરના દરેક તબક્કે અલગ અલગ રંગનો લાગતો રહે છે!  અને ઘણા લોકો તો રંગ બદલવામાં કાચિંડાને પણ પાછળ રાખી દેતા હોય છે. સામેવાળાનું સ્ટેટસ જોઈને તેઓ રંગ બદલી નાખતા હોય છે. જ્યારે કેટલાક લોકો કાયમ રંગહીન જ રહેતા હોય છે.  ગુલઝાર સાહેબે સરસ લખ્યું છે, “ માના કી ઇતને બહેતરીન નહી હૈ હમ, લેકિન બાત બાત પર રંગ બદલે, ઇતને ભી રંગીન નહી હે હમ.

  જો કે નાનપણનો પારદર્શક રંગ આપણી આસપાસ જળવાય રહે, તો જિંદગીમાં ખુશીના રંગોની રંગોળી કાયમ હ્રદયના આંગણે રચાતી રહે છે. જેની પાસેથી જે શીખવા મળે એ શીખવાનો રંગ જિંદગીમાં ટૂ બી કંટીન્યુ રાખવા જેવો ખરો. અમુક ઉંમર બાદ અમુક રંગો સારા ના લાગે કે નવા રંગો ઉમેરી ના શકાય એ માન્યતાને નવા વિચારોના રંગો થકી છેકી નાખવી. બંધ રહેતી બારીઓને ખોલી નાખવી, જેથી દીવાલો સિવાયના રંગોને પણ માણી શકાય.

 

 




  •  or 

  • Friday 29 March 2024

    ભારતીય લોકશાહી, બેલેટ પેપર્સથી લઈને ઇ.વી.એમ. સુધી......


    ભારતીય લોકશાહી, બેલેટ પેપર્સથી લઈને ઇ.વી.એમ. સુધી......

    EVM मशीन कैसे करती है काम, क्या इसे किया जा सकता हैक? | vidhansabha  assembly elections 2023 evm tampering hacking electronic voting machine  news in hindi | TV9 Bharatvarsh


         વિશ્વની સૌથી મોટી લોકશાહી ગણાતા આપણાં દેશમાં 18મી લોકસભાની ચૂંટણીઓના બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યા છે. તારીખ 16/03/2024 થી 04/06/2024 સુધી આખા દેશમાં ચૂંટણી અને ચૂંટણીને લગતા સમાચારો સૌથી વધુ વાઇરલ રહેશે. લગભગ દોઢ-પોણા બે મહિના આખો દેશ ચૂંટણીનાં રંગે રંગાયેલો રહેશે. વિશ્વના સૌથી વધુ વસ્તી ધરાવતા દેશમાં ચૂંટણી યોજવી અને સફળતાપૂર્વક પાર પાડવી એ આપણાં ચૂંટણી કમિશન માટે અઘરું કામ છે, પણ તેઓ આ કામ પૂરેપુરી તટસ્થતાથી પાર પાડશે એવી સૌને આશા પણ છે. 

      આપણે 1947માં આઝાદ થયા, પણ પ્રથમ ચૂંટણીઓ ઇ.સ. 1951/52માં થયેલી! આ જ વર્ષે શ્યામા પ્રસાદ મુખરજીએ બી.જે.એસ. પક્ષની સ્થાપના કરી, જે અત્યારની ભારતીય જનતા પાર્ટી બની! ચાર વર્ષો દરમિયાન ભારત કિંગ જ્યોર્જ-6 ના શાસન નીચે બંધારણીય રાજાશાહી હતું, જેમાં ગવર્નર-જનરલ તરીકે લૂઈસ માઉન્ટબેટન હતા!  આ વર્ષો દરમિયાન ડો. ભીમરાવ આંબેડકરના અધ્યક્ષ સ્થાને ભારતનું બંધારણ તૈયાર કરવામાં આવ્યું, જે ઇ.સ. 1950ની 26મી જાન્યુઆરીએ અમલમાં આવ્યું. ચૂંટણી કમિશનની રચના થઈ અને સૌથી પ્રથમ ચૂંટણી કમિશનર તરીકે સુકુમાર સેન ચૂંટાયા. 

      ઇ.સ. 1951/52માં સૌથી પ્રથમ ચૂંટણી થયેલી, જે ચાર મહિના સુધી ચાલેલી. તે સમયે વોટિંગ કરવાની ઉંમર 21 વર્ષની નક્કી થયેલી. આશરે 173મિલિયન જેટલા મતદારો હતા, જેઓ અભણ, ગરીબ અને ગ્રામ્ય વિસ્તારના હતા. ચુંટણીમાં મત આપવાનો તેમના માટે એ પ્રથમ અવસર હતો. તેઓ મત આપવા આવશે કે કેમ? એ પણ એક મોટો સવાલ હતો. મોટા ભાગના લોકો એવું માનતા હતા કે ભારત જેવા અભણ, જ્ઞાતિઓમાં વહેંચાયેલા, વધુ પડતાં ધાર્મિક દેશમા લોકશાહી સફળ નહી થાય. 

     લોકોએ 1951/52માં થયેલી એ ચૂંટણીને અંધારામાં મારેલા કુદકા સાથે સરખાવી હતી. તો કેટલાકને એવું પણ હતું કે, ચૂંટણી એ અદભૂત અને વિશ્વાસની ક્રિયા' બની રહેશે અને એવું જ થયું. ચૂંટણીનું આયોજન એક અદભૂત કાર્ય બની રહ્યું. મતદારોની નોંધણી માટે ઘરે-ઘરે સર્વે કરવામાં આવ્યો હતો. 70 ટકાથી વધુ મતદારો અભણ હોવાને કારણે, ઉમેદવારોને પ્રતીકો દ્વારા ઓળખવાના હતા, જે દરેક મુખ્ય પક્ષ અને અપક્ષ ઉમેદવારોને સોંપવામાં આવ્યા હતા, જે મતપેટીઓ પર દોરવામાં આવ્યા હતા. મતદારોએ ચોક્કસ ઉમેદવારને સોંપેલ બોક્સમાં બેલેટ પેપર મૂકવાના હતા, અને મતપત્ર ગુપ્ત હતો. 

     224,000 મતદાન મથકો તૈયાર કરવામાં આવેલ. 10.5 મિલિયનથી વધુ સ્ટીલની મતપેટીઓ તૈયાર કરવામાં આવી હતી. દરેક ઉમેદવાર માટે એક બોક્સ! લગભગ 620,000,000 બેલેટ પેપર છાપવામાં આવ્યા હતા. લગભગ 10 લાખ અધિકારીઓએ મતદાનની દેખરેખ રાખી હતી. ઘણા ઉમેદવારોમાંથી, જેને બહુમતી મળે, અથવા સૌથી વધુ મત મળે તે ચૂંટાશે. 85% જેટલી વસ્તી અભણ હતી, છતાં 45.7% લોકોએ મતદાન કર્યું. આ ચૂંટણી 25 ઓક્ટોબર 1951 થી 21 ફે1952 સુધી લગભગ ચાર મહિનાઓ સુધી ચાલી હતી! 

      1957માં સૌપ્રથમવાર બુથકેપચરિંગની ઘટનાઓ બની. ગમે તે ભોગે ચૂંટણી જીતવા માટે જે તે પક્ષના કાર્યકરો દ્વારા કોઈ એક મતદાનમથક કબજે કરી, બેલેટ પેપર્સ પર જાતે જ સિક્કો લગાવી મતદાન થવા લાગ્યું! પ્રજાના મતદાન વિના નેતાઓ ચૂંટાવા લાગ્યા! આ પ્રવૃતિઓ ઉત્તરપ્રદેશ અને બિહાર જેવા રાજ્યોમાં કાયમી બની ગઈ. આંધ્ર પ્રદેશ,જમ્મુ અને કાશ્મીર અને પશ્ચિમ બંગાળમાં ફેલાઈ અને ચૂંટણીના દિવસે હિંસા થઈ. 

     1950 થી 1990 દરમિયાન આ પ્રવૃતિઓ વધતી જ ગઈ, જેને રોકવા ઈલેક્ટ્રોનિક મશીન્સ વિકસાવવાની  શરૂઆત  ઇ.સ. 1979માં ઇલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા અને ભારત ઈલેક્ટ્રોનિક્સ દ્વારા થઈ હતી. પ્રથમ વખત કેરાલામાં ઇ.સ. 1982માં આ મશીનનો ઉપયોગ થયેલો. ઇ.સ. 1998 થી 2001 દરમિયાન તબક્કાવાર ઇ.વી.એમ. મશીન્સ દ્વારા ચૂંટણી લડવાની શરૂઆત થઈ. મુંબઈ IIT ના બે પ્રોફેસર્સ એ.જી. રાવ અને રવિ પૂવૈયા દ્વારા અત્યારના ઇ.વી.એમ. મશીન્સ તૈયાર કરવામાં આવ્યા હતા. એકવાર આ યુનિટ બન્યા બાદ ખુદ બનાવનાર પોતે પણ તેમાં કોઈ ફેરફાર કરી શકતા નથી! આ મશીન્સ બીજી કોઈપણ સિસ્ટમ સાથે જોડાય શકતા નથી. તેમાં બે મશીન્સ હોય છે, એક મતપેટી અને બીજું કંટ્રોલ યુનિટ.

     કેટલીક જગ્યાએ હારનાર પક્ષો દ્વારા ઇ.વી.એમ. માં ગેરરીતિ થઈ રહી છે, એવી ફરિયાદ થતાં ઇ.સ. 2011માં ભારતની સર્વોચ્ચ અદાલતે ઈ.વી.એમ.ની વિશ્વસનીય કામગીરીની ચકાસણી કરવા માટે પેપર ટ્રેલનો પણ સમાવેશ કરવા ચૂંટણી પંચને નિર્દેશ આપ્યો હતો અને એ સાથે જ વેરિફાઈડ પેપર ઓડિટ ટ્રેલ સિસ્ટમની શરૂઆત થઈ. ઇ.સ. 2014માં તેની પ્રાયોગિક ધોરણે શરૂઆત કરવામાં આવી. જેમાં મત આપનાર ઇ.વી.એમ. ની સ્વિચ ઓન કર્યા બાદ એક કાપલીમાં તેને ક્યાં પક્ષને મત આપ્યો? એ પણ જોઈ શકે છે. જેને આપણે આજે vvpat તરીકે ઓળખીએ છીએ. 

     આપણી ચૂંટણી પ્રક્રિયા અપડેટ થઈ ગઈ છે, હવે આપણે ધર્મ, જ્ઞાતિ, જાતિવાદ, કે પ્રદેશવાદથી પર થઈને અપડેટ થઈને મત આપવાની જરૂર છે, જેથી લાયક ઉમેદવારો પસંદ થઈ શકે.

           

     

     

     

     

     

    શું વર્તમાન શિક્ષણ પાસે તમામ સમસ્યાઓનો ઉકેલ છે કે શિક્ષણ ખુદ સમસ્યાઓ ઊભી કરી રહ્યું છે ???

    શું વર્તમાન શિક્ષણ પાસે તમામ સમસ્યાઓનો ઉકેલ છે કે શિક્ષણ ખુદ સમસ્યાઓ ઊભી કરી રહ્યું છે ???          શિક્ષકો વિદ્યાર્થીઓમાં રહેલી સંભાવના...